સાળંગપુરમાં કાળીચૌદશ નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સિલ્વર-ડાયમંડના વાઘાનો શણગાર કરાયો, હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દીપાવલી પર્વના કાળી ચૌદશનાં દિવસે તા. 11-11-2023નાં શનિવારનાં રોજ દાદાને વિશેષ 15 કિલો ચાંદીના 1 લાખ 8 હજાર હીરાજડિત વાઘા અર્પણ કરવાની સાથે ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે.

આ સાથે જ સવારે મંગળા અને શણગાર આરતી બાદ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી અને પૂજારી ધર્મકિશોર સ્વામી(ડિ.કે.સ્વામી) તથા વરિષ્ઠ સંતો દ્વારા અ.મૂ.અ.સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીની લાકડીનું વિશેષ પૂજન કરાયું હતું. મહત્વનું છે કે, આજ કાળીચૌદશ હોવાથી હજારોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શને આવ્યા હતા. જેમાં ભાજપનાં વરિષ્ઠ નેતા શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ દાદાના દર્શને આવ્યા હતાં. મંદિર પરિસર ચિક્કાર ભીડથી ભરાયું હતું. એટલું જ નહીં મંદિર પરિસરમાં ભક્તોએ શ્રીકષ્ટભંજદેવ હનુમાનજીની જયનાં ગગનભેદી નારા લગાવ્યા હતાં.

તો મંદિર પરિસરમાં કાળી ચૌદશ નિમિત્તે વિશેષ સમુહ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં યજમાનોએ ભાગ લીધો હતો. મહત્વનું છે કે, આ સમુહ મારુતિ યજ્ઞમાં શ્રી હરિપ્રકાશ સ્વામી સહિત સાળંગપુર પધારેલાં સંતોએ પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત આજે દાદાના દર્શને હજારોની સંખ્યામાં હરિભક્તો સાળંગપુર આવી પહોંચ્યા હતાં.